Essay Archives

પુનર્જન્મવાદના વિશેષ પુરાવાઓ 

રશિયામાં કેલિનિનગ્રાદ રિજિયોનલ હોસ્પિટલના ‘રિએનિમેશન’ વિભાગના વડા ડૉ. વ્લાદીમીર ઝેતોવ્કે
(Vladimir Zatovk) થોડાં વર્ષો પહેલાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં કહ્યું કે મૃત્યુ એક એવી જટિલ રહસ્યમય બાબત છે જેને વિજ્ઞાન આજ સુધી ઉકેલી શક્યું નથી, પરંતુ અનુભવો આધારે એક વાત ચોક્કસ કહી શકું કે માણસના મૃત્યુ પછી પણ આત્મા અસ્તિત્વ ધરાવે છે, એ પુનઃજીવન જીવે છે. ત્યારે નાસ્તિક રશિયન જર્નાલિસ્ટો પ્રશ્નોની ઝડી વરસાવતાં ઊછળી પડ્યા હતા.
પોતાના આ વિધાનનો વિશેષ ખ્યાલ આપતાં ડૉ. વ્લાદીમીરે પુરાવાબદ્ધ વિગતોનો સિલસિલો રજૂ કર્યો હતો. ડૉ. વ્લાદીમીરે આપેલાં ઉદાહરણોમાં એક ઉદાહરણ હતું : ઈરિના લાકોબા નામની એક દર્દીનું. એક ગંભીર વાહન અકસ્માતમાં તે બેભાન અવસ્થામાં (કોમામાં) સરી પડી હતી. એકાદ મહિના બાદ તે પુનઃ સભાન બની ત્યારે સૌને તેનામાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું. એક ફિશિંગ કંપનીમાં વીસ વર્ષ સુધી એક્સપર્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવનાર આ મહિલા અચાનક કહેવા લાગી હતી કે તેણે પોતાના પૂર્વજન્મ જોયા, જેમાં તે એક નાની બાલિકા હતી! એટલું જ નહીં સાથે સાથે તે કોઈક એવી વિચિત્ર ભાષા પણ બોલવા લાગી હતી, જે ડૉક્ટરો સમજી શકતા નહોતા. કેલિનિનગ્રાદ યુનિવર્સિટીના ભાષાશાસ્ત્રીઓએ તે ઉકેલી આપ્યું કે આ આફ્રિકાની સ્વાહિલી ભાષા છે, એટલું જ નહીં તેણે સ્વાહિલી ભાષામાં બનાવેલું એક કાવ્ય રશિયન ઉપરાંત ઇંગ્લિશ અને ફ્રેન્ચ ભાષામાં ભાષાંતરિત પણ કરી આપ્યું ! જે ભાષાઓનો કક્કો પણ તે અકસ્માત પહેલાં ક્યારેય જાણતી નહોતી!
ઈરિના  બેભાન અવસ્થામાં હતી તે દરમ્યાન, તેની તબિયત અંગે ડૉ. વ્લાદીમીરે તેના પતિ સાથે એક મીટિંગ કરી હતી. મીટિંગની આ રૂમ ઈરિના જ્યાં કોમાની પરિસ્થિતિમાં સૂઈ રહી તે વોર્ડથી બે માળ ઉપર હતી. ડૉક્ટરને આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે તે સભાન થઈ ત્યારે ઈરિનાએ પોતાના પતિ અને ડૉક્ટર સાથેની મીટિંગની ઝીણામાં ઝીણી વિગતો તેમને કહી સંભળાવી ! તેનાથી ન જોઈ શકાય, ન સાંભળી શકાય એવા સ્થાને થયેલી આ મીટિંગની રજે રજ માહિતીની તેને કેવી રીતે ખબર પડી ? અને તે પણ તેની જડ અવસ્થામાં ! ડૉક્ટરે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તેનો આત્મા શરીરની બહાર નીકળ્યો હતો અને તેણે પથારીમાં પડેલું પોતાનું શરીર પણ રૂમમાં ઉપરથી જોયું, અને હોસ્પીટલમાં બધે ઘૂમતાં ઘૂમતાં તે એ રૂમમાં પણ પ્રવેશી હતી, જ્યાં ડૉક્ટર અને તેના પતિની મીટિંગ ચાલી રહી હતી, તેણે મીટિંગની બધી વાતો સાંભળી હતી !
આવી અનેક ઘટનાઓએ સંશોધક વિજ્ઞાનીઓ માટે મૃત્યુ પછીનાં દ્વાર ખોલી રાખ્યાં છે: જેમ કે આત્માનું અસ્તિત્વ મૃત્યુ પછી પણ રહે છે, આત્મા યાત્રા કરે છે.
પુનર્જન્મના સંશોધનક્ષેત્રમાં હિપ્નોટિઝમ(સંમોહન વિદ્યા)નો પણ ઉપયોગ કરનારા મનોવિજ્ઞાનીઓ પણ પશ્ચિમના દેશોમાં ભરપૂર માત્રામાં વિદેશોમાં મહોરી ઊઠ્યા છે. ડૉ. પીટર રેમસ્ટર (સીડની, ઓસ્ટ્રેલિયા), ડૉ. બ્રાયન વેઇઝ (યુ.એસ.એ.) વગેરે નિષ્ણાતોએ હિપ્નોસીસ અને ટ્રાન્સનો ઉપયોગ કરીને પુનર્જન્મના અનેક કિસ્સાઓ પુરવાર કર્યા છે, પરંતુ વિશ્વની સાયન્ટિફિક કોમ્યુનિટીએ ખૂબ મોટા પાયે તેનો વિરોધ કરીને, તેને અપ્રમાણભૂત ઠરાવી છે. આથી તેનો આપણે વિશેષ નિર્દેશ અહીં નહીં કરીએ.
ટૂંકમાં, વિજ્ઞાનની ઓર્થોડૉક્સ માન્યતાઓમાં પુરાઈને બેઠેલા લોકોમાં પણ હવે એક સળવળાટ શરૂ થયો છે. છેલ્લા કેટલાક દાયકાઓ પહેલાં જ પુનર્જન્મને એક કપોલકલ્પિત થિયરી માનવામાં આવતી હતી. તેના બદલે આજે ધીમે ધીમે તેમાં કાંઈક વજૂદ છે એવી માન્યતા સ્વીકારાવા લાગી છે.
તેમને પ્રથમ તો જીવન પછીના જીવનમાં બિલકુલ શ્રદ્ધા ન હતી. પોતાના પુસ્તક ‘રિકલેક્શન ઓફ ડેથ(Re-collection of Death)’માં કાર્ડિયોલોજિસ્ટ ડૉ. માઇકલ બી. સબોમ(Michael B. Sabom) લખે છે: ‘મૃત્યુ વિશે મારું શું મંતવ્ય છે એ વિશે ડૉ. માઇકલ બી. સબોમને કદાચ કોઈએ પૂછ્યું હોત તો મેં કહ્યું હોત કે મૃત્યુ સાથે તમે મરી જ ગયા છો.’
વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે જ સત્ય સ્વીકારવું એ તેમનો મુદ્રાલેખ હતો. પરંતુ 1976માં ફ્લોરિડાના એક ચર્ચમાં ડૉ. મૂડીએ લખેલા ‘Life after life’ પુસ્તકની વિગતો સાંભળી, ત્યારે તેમના શંકાશીલ માનસમાં જિજ્ઞાસા જાગી.
તેમણે જાતે જ આ પુસ્તક વાંચ્યું, પરંતુ તેમાં તેમને કાંઈ તથ્ય લાગ્યું નહીં. એ દિવસોમાં તેમણે પોતાના જ દરદીઓ પાસેથી મૃત્યુ નજીકના અનુભવો સાંભળ્યા. તેમને અત્યંત આશ્ચર્ય થયું કે ડૉ. મૂડીનાં પુસ્તકોમાં મૃત્યુ નજીકની વ્યક્તિઓના જે અનુભવો હતા, તેવા જ આ અનુભવો હતા !

ઊઠ જાગ મુસાફિર ભોર ભયો...

અમેરિકન કાર્ડિયોલોજિસ્ટ વિજ્ઞાની ડો. માઈકલ સબોમને પ્રથમ તો જીવન પછીના જીવનમાં બિલકુલ શ્રદ્ધા ન હતી. પોતાના પુસ્તક ‘રિકલેક્શન ઓફ ડેથ(Re-collection of Death)’માં કાર્ડિયોલોજિસ્ટ ડૉ. માઇકલ બી. સબોમ(Michael B. Sabom) લખે છે: ‘મૃત્યુ વિશે મારું શું મંતવ્ય છે એ વિશે મને કદાચ કોઈએ પૂછ્યું હોત તો મેં કહ્યું હોત કે મૃત્યુ સાથે તમે મરી જ ગયા છો.’
વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે જ સત્ય સ્વીકારવું એ તેમનો મુદ્રાલેખ હતો. પરંતુ 1976માં ફ્લોરિડાના એક ચર્ચમાં ડૉ. મૂડીએ લખેલા ‘Life after life’ પુસ્તકની વિગતો સાંભળી, ત્યારે તેમના શંકાશીલ માનસમાં જિજ્ઞાસા જાગી.
તેમણે જાતે જ આ પુસ્તક વાંચ્યું, પરંતુ તેમાં તેમને કાંઈ તથ્ય લાગ્યું નહિ. એ દિવસોમાં તેમણે પોતાના જ દરદીઓ પાસેથી મૃત્યુ નજીકના અનુભવો સાંભળ્યા. તેમને અત્યંત આશ્ચર્ય થયું કે ડૉ. મૂડીનાં પુસ્તકોમાં મૃત્યુ નજીકની વ્યક્તિઓના જે અનુભવો હતા, તેવા જ આ અનુભવો હતા !
આ હકીકતોને વધારે વૈજ્ઞાનિક ઢબે તપાસવા માટે પ્રમાણભૂત સચોટ માહિતી મેળવવા તેમણે ઝંપલાવ્યું.
મે, 1976થી માર્ચ, 1981 સુધીમાં 116 વ્યક્તિઓના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને સંશોધનાત્મક વૃત્તિથી પ્રમાણભૂત અનુભવો એકત્રિત કર્યા. આ અનુભવોનું પૃથક્કરણ કરીને ‘રિકલેક્શન ઓફ ડેથ’ પુસ્તક પ્રસ્તુત કર્યું.
દેહથી આત્મા ભિન્ન છે અને મૃત્યુ પછી જીવન છે - એવી બાબતોમાં જેમને શ્રદ્ધા નથી, એવા લોકોએ આવા અનુભવો અંગે આપેલાં જુદાં જુદાં કારણો પણ તેમણે આ પુસ્તકમાં મૂક્યાં છે. પરંતુ મૃત્યુ નજીકના અનુભવોના નક્કર પુરાવા રજૂ કરીને ડૉ. સબોમે સમજાવ્યું કે મૃત્યુ નજીકના અનુભવો એ કાલ્પનિક મનઘડંત તરંગો નથી, પણ હકીકત છે. અને તેથી જ આ મૃત્યુ પછીનું જીવન પણ એક નક્કર વાસ્તવિકતા છે.
અ-વૈજ્ઞાનિક દાવાઓનો નિષેધ કરીને તેની પોકળ વાતો ઉઘાડી પાડવા માટે સતત મથનાર જગવિખ્યાત બ્રહ્માંડ-વિજ્ઞાની કાર્લ સેગન (Carl Sagan), છેલ્લા દાયકાઓમાં સૌથી વધુ આદર મેળવનારા વિજ્ઞાનીઓમાંના એક છે. મૃત્યુ પછીના આવા અકળ અનુભવો કે બાળકના જન્મ પૂર્વેના અગમ્ય અનુભવોની વૈજ્ઞાનિક રજૂઆતોએ તેમને અંતરથી ઝંકૃત કરી દીધા. ઊંડા અધ્યયન પછી તેમને લાગ્યું કે પુનર્જન્મનું આ ક્ષેત્ર અ-વૈજ્ઞાનિક નથી. સન 1996માં પોતાના પુસ્તકમાં બાળકોના પુનર્જન્મના કિસ્સાઓનો નિર્દેશ કરતાં શ્રી સેગન માને છે કે પુનર્જન્મના કિસ્સાઓ પર ખરેખર ગંભીરતાથી ઊંડું સંશોધન થવું જોઈએ, તેમાં કંઈક વજૂદ છે. તેઓ લખે છે:
‘young children sometimes report the details of a previous life, which upon checking turn out to be accurate and which they could not have known about in any way other than reincarnation. I pick these claims not because I think they are likely to be valid (I don't), but as examples of contentions that might be true.’
આ તો  માત્ર વિજ્ઞાનના એક દૃષ્ટિકોણની વાત થઈ, જેમાં વિજ્ઞાનીઓને હવે કાંઈક દિશા જડી છે, પરંતુ પુનર્જન્મના જ વિષયમાં એવા સેંકડો પ્રશ્નો વણઉકલ્યા છે, જે વિજ્ઞાનની મર્યાદાની બહાર છે. આત્મા મૃત્યુ પછી ક્યાં જાય છે ? તેની ગતિ-અધોગતિ-ઊર્ધ્વગતિ કોણ સંચાલિત કરે છે? મૃત આત્માએ નવો જન્મ ક્યાં લેવો - તે કોણ નિર્ધારિત કરે છે ? આત્માના નવા શરીરનાં સુખ-દુઃખના પ્રશ્નોને પૂર્વજન્મ સાથે કેટલી લેવાદેવા છે ? અને તે માટે કોણ જવાબદાર છે ? આવા સેંકડો પ્રશ્નો વિજ્ઞાનીઓની મર્યાદાની બહાર છે. તે માટે વિજ્ઞાની નહીં, પરમજ્ઞાની જોઈએ, જેમની પાસે આધ્યાત્મિક ચેતના છે. એવા ગુણાતીત સત્પુરુષ જ જીવનનાં આ સકળ રહસ્યો ઉકેલીને માણસના જીવનને સાર્થકતા આપી શકે છે. નહીંતર, એક શરીરથી બીજા શરીરની ભટકણનું ચક્ર ક્યારેય આત્માને ઠરીને ઠામ થવા દેતું નથી.
વિખ્યાત અમેરિકન લેખક રિચાર્ડ બાક (Richard Bach) ‘જોનાથન લીવિંગ્સ્ટન સીગલ’ નામના પુસ્તકમાં એક સંવાદરૂપે લખે છે : ‘પેટનો ખાડો પૂરવા, ઝઘડવા ને આગેવાની મેળવવા ઉપરાંત પણ જીવનમાં કંઈક છે, તેનું ભાન થતાં અમારા કેટલા જન્મારા વીત્યા તેનો તને ક્યાંથી ખ્યાલ હોય? હજાર જન્મો જોનાથન, ના, દસ હજાર! પૂર્ણતા નામની કોઈ ચીજ છે તેનું ભાન થતાં બીજી સો જિંદગીઓ વીતી ગઈ, અને જીવનનો ઉદ્દેશ એ પૂર્ણતાને પ્રાપ્ત કરવાનો, ને તેનો આદર્શ બીજા સામે રજૂ કરવાનો છે, એ સમજવામાં વળી બીજા સો જન્મ લાગ્યા છે !’
પુનર્જન્મની આ ઘટમાળ સાથે આપણને કોઈ લેવા-દેવા છે? મંથન કરવું જોઈએ. ખૂબ જન્મો વિતાવ્યા, લાગે છે કે હવે પૂર્ણતા મેળવવા જાગી જવું જોઈએ. આમ જ જન્મો વિતાવતા છ અબજના માનવ-ટોળાની વચ્ચે, ગુણાતીત સત્પુરુષના શરણે જઈને જીવન સાર્થક કરી લેવા જેવું છે. માનવજન્મ પામીને જીવનની સાર્થકતા માટે નહીં જાગનારાઓને કબીરજી હાકલ કરે છે :
‘ઊઠ જાગ મુસાફિર ભોર ભયો...
જો જાગત હૈ વો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ...’

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS