BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, અટલાદરા શાળા દ્વિદશાબ્દિ મહોત્સવ મનાવી રહી છે . આ કાર્યક્રમ અંતર્ગત તા:25/12/2024 ના દિને શાળાના પટાંગણમાં વિદ્યામંદિરના તમામ સ્ટાlફ માટે family get together નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળા પરિવારના દરેક સભ્ય પોતાના પરિવારજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનની મંગળ સ્તુતિ તથા આરતીના અર્ધ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કર્યા બાદ શબ્દ સુમનથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અટલાદરા મંદિરથી પૂ. હરિકિશોર સ્વામી તથા પૂ. સૌમ્ય સ્વરૂપ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. શાળા સમિતિના સભ્યોએ પૂ. સ્વામીશ્રીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. પૂ. હરિકિશોર સ્વામીએ પ્રસંગોચિત ઉદ્દબોધન દ્વારા પ્રોત્સાહિત કરતા શિક્ષકોને જણાવ્યું કે, આપણે જે સંસ્થામાં કાર્યરત છીએ, તેનું મૂલ્ય શબ્દોમાં આંકવું અસંભવ છે. આટલી વિશાળ અને વિશ્વવિખ્યાત સંસ્થાનો ભાગ બનવું આપણી માટે ગૌરવની બાબત છે. શાળા સંચાલક સંતશ્રી પૂ. પુણ્યકીર્તન સ્વામીએ શ્રાવ્ય સંદેશ (audio message) દ્વારા સૌને પ્રોત્સાહિત કરી શુભેચ્છા પાઠવી હતી.શાળા સમિતિના મુખ્ય સભ્ય શ્રી સંજયભાઈ પટેલે પણ આ પ્રસંગને અનુરૂપ વકતવ્ય રજૂ કર્યુ હતું. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા શાળામાં શિક્ષકો દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓનું નિદર્શન કરી પ્રેક્ષકગણને અવગત કર્યા હતા. વિદ્યાર્થીઓમાં શિક્ષણ - સંસ્કારના સિંચન સાથે શાળામાં શિક્ષકોના જ્ઞાન તેમજ કૌશલ્ય સંવર્ધન માટે વર્ષમાં બે વખત Teachers Training program નું તેમજ અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે શિક્ષકોનું શિક્ષણ તેમજ ગૃહસ્થ જીવન તથા સામાજિક જીવન ઉચ્ચ કક્ષાનું બને છે ઘણાં શિક્ષકોના પરિવારજનો અને ભૂતપૂર્વ શિક્ષકોએ આનાથી પ્રભાવિત થઈ પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું હતું કે BAPS શાળામાં કામ કરવું એક ગર્વની વાત છે, શિક્ષકોના સર્વાંગી વિકાસ જેવો આ શાળામાં થાય છે, તેવો બીજે ક્યાંય ભાગ્યે જ થતો હશે. દ્વિદશાબ્દી મહોત્સવ નિમિત્તે શાળામાં કાર્યરત તમામ શિક્ષકોને તેમના ગુણો દર્શાવતા પ્રમાણપત્ર તેમજ સ્મૃતિચિન્હો અર્પણ કરી બિરદાવવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના શિક્ષકવૃંદે એક રમૂજી પ્રસંગ દ્વારા મહેમાનોને મનોરંજન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના સમાપનમાં આભારવિધિ બાદ સૌ મહેમાનોએ સમૂહ ભોજનનો આનંદ માણ્યો હતો.