યુવા પ્રવૃત્તિ ષષ્ટિપૂર્તિ મહોત્સવ નિમિત્તે ફેબ્રુઆરી-માર્ચ માસમાં તમામ યુવા ક્ષેત્રોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં સૌ યુવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઓછામાં ઓછું ૧૦ કિ.મી. જેટલું અંતર દરેક પદયાત્રા માટે રાખવામાં આવ્યું હતું. પદયાત્રાનો પ્રારંભ મહારાજ-સ્વામીના પૂજનવિધિ અને આરતીથી થતો. વડીલ સંત તેમજ શહેર / ગામના અગ્રણી મહાનુભવ શ્રીફળ વધેરીને પદયાત્રાનો શુભારંભ કરાવતા. તે પહેલાં તમામ પદયાત્રીઓને ચાંદલો તેમજ નાડાછડી બાંધવામાં આવતી.

ષષ્ટિપૂર્તિ મહોત્સવનું બેનર લઈને બે યુવકો સૌથી આગળ ચાલતા. તેની પાછળ ધજા પકડીને બે યુવકો ચાલતા. ત્યારબાદ ઠાકોરજીનો રથ રહેતો, જેમાં 'સ્વામિનારાયણ' મંત્રગાનની સીડી ગૂંજતી. સૌ પદયાત્રીઓ તાળી પાડતાં પાડતાં, ધૂનગાન કરતાં કરતાં ચાલતાં.

પદયાત્રામાં રસ્તામાં આવતાં ગામમાં પદયાત્રી યુવકોનું સ્વાગત થતું. ગામની મુખ્ય બજારમાં સૌ પદયાત્રી ધૂનગાન કરતાં કરતાં અને ષષ્ટિપૂર્તિ મહોત્સવનો જયઘોષ કરતાં નીકળતાં.

પદયાત્રાના ગંતવ્ય સ્થળે પણ સૌ પદયાત્રીઓનું ઉષ્માભેર સ્વાગત થતું. મોટેભાગે આપણા જ પ્રસાદીભૂત સ્થાને આ પદયાત્રા વિરમતી. સૌ યુવકો ભક્તિભાવપૂર્વક ઠાકોરજીનાં દર્શન-દંડવત્‌ કરતાં અને જીવનમાં ભક્તિભાવ વિશેષ દૃઢ થાય, પ્રમુખસ્વામી મહારાજને રાજી કરી શકાય તેવી ગદ્‌ગદ્‌ભાવે પ્રાર્થના કરતા.

આમ, પદયાત્રાના આયોજન દ્વારા યુવકોને ખૂબ જ આનંદ આવ્યો, વિશેષ ભજન-ભક્તિ કરવાની પ્રેરણા મળી.

તા.૧૯-૨-૨૦૧૨ના રોજ આણંદ શહેરના યુવકોની આણંદથી વરતાલ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૭.૦૦ વાગે આણંદ મંદિરના કોઠારી પૂ. ભગવત્‌ચરણ સ્વામી તથા સંયોજક શ્રી અરૂણભાઈ પટેલે ઠાકોરજીની પૂજનવિધિ કરીને પદયાત્રાનો શુભારંભ કરાવ્યો. ૧૨ કિ.મી. અંતરની આ પદયાત્રામાં ૧૮૦ યુવકો, ૧૪ કાર્યકરો અને બે સંતો સામેલ થયા હતા. સવારે ૧૦.૩૦ વાગે વરતાલમાં પદયાત્રા પહોંચી ત્યારે વરતાલના હરિભક્તોએ પદયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું. સૌ યુવકોએ ઠાકોરજીનાં ભાવપૂર્વક દર્શન કર્યાં.

ત્યારબાદ યોજાયેલ ટૂંકી સભામાં વરતાલ મંદિરનો મહિમા તથા શ્રીજીમહારાજની લીલાના પ્રસંગો કહેવામાં આવ્યા. સૌ પદયાત્રીઓએ મંદિરમાં જ ઠાકોરજીનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS