પ્રેરણા પરિમલ
આંતરવૈભવ
હીરજીભાઈ ચોવટિયા સિંચાઈ વિભાગમાં મદદનીશ એન્જિનિયર તરીકે જામનગર ઓફિસમાં છેલ્લાં ૨૫ વર્ષથી જોડાયેલા છે. આ ખાતામાં ભાગ્યે જ કોઈએ આટલી લાંબી નોકરી કરી હોય.
૧૯૯૪માં આ વિસ્તારમાં ભયંકર દુકાળ પડ્યો. અછતની પરિસ્થિતિ હતી. સરકારે અછતની કાર્યવાહી શરૂ કરી હતી. જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાનાં આંબલિયારા અને રાણપરડા બે ગામના મજૂરો સંયુક્ત ગ્રુપમાં રાહત તળાવ બનાવી રહ્યા હતા. એ વખતે રાહતની ચોકડીઓ માપવા જવાની જવાબદારી તેઓની હતી. બંને ગામમાંથી આ કામગીરી માટે આશરે ૫૦૦ મજૂરો કામે આવતા. બંને ગામની મુખ્ય વસ્તી કોળી, સગર, મુસ્લિમ અને હરિજનો વગેરેની હતી. જેઓ મોટે ભાગે દારૂ, જુગાર, ધૂમ્રપાન વગેરે વ્યસનોથી ઘેરાયેલા હતા. મજૂર વર્ગ હોવાને કારણે આવાં દૂષણો સામાન્ય હતાં. જ્યારે જ્યારે તેઓ ચોકડીઓના રાહતકામના માપ લેવા જતા ત્યારે હીરજીભાઈ મહારાજ સ્વામીને પ્રાર્થના કરીને આ લોકોમાંથી વ્યસન છૂટે અને સત્સંગ થાય એની વાતો કરતા, પરંતુ એ ગામના એ વખતના એક આગેવાનને આ ગમતું નહીં, કારણ કે એ પોતે જ વ્યસની અને ભ્રષ્ટ હતા. ગેરરીતિઓ કરવામાં એ વિસ્તારમાં તેઓ પ્રખ્યાત હતા. આ રાહતકાર્યમાં ખોટી હાજરી પૂરવા તથા ખોટું કરાવવા અને ચોકડીઓના ખોટા માપ લખવા માટે તેઓ હીરજીભાઈને દબાણ કરતા હતા, પરંતુ ચુસ્ત સત્સંગીના નાતે હીરજીભાઈ તેઓને તેમ કરવા દેતા ન હતા. આને કારણે સરપંચે પોતાના મળતિયા મજૂરોની એક ગેંગ રચી. એક વખત માપ લઈને હીરજીભાઈ ભાણવડ તરફ પાછા જતા હતા. એ વખતે પેલા ભ્રષ્ટાચારી આગેવાને પોતાના મળતિયા મજૂરોને ઉશ્કેર્યા. લગભગ ૧૦૦ જેટલા મજૂરો ત્રિકમ અને પાવડા લઈને મારવા માટે પાછળ પડ્યા. હીરજીભાઈ મહારાજ અને સ્વામીનું નામ લઈને હિંમત સાથે, પ્રાર્થના સાથે ત્યાંને ત્યાં ઊભા રહ્યા. એમના હાથમાં એકપણ હથિયાર હતું નહીં. સામે ૧૦૦ મજૂરો હથિયાર લઈને મારવા આવતા હતા, પરંતુ મહારાજ સ્વામી પ્રત્યેની અડગ નિષ્ઠા અને વિશ્વાસના પ્રતાપે બન્યું એવું કે બાકીના ૪૦૦ મજૂરો કે જેઓને હીરજીભાઈની વ્યસનમુક્તિની વાતો સ્પર્શી હતી. એ સૌની દૃષ્ટિ આ બધા ઉપર પડી અને સો એ સો મજૂરોને વાળવા માટે ૪૦૦ મજૂરો દોડી આવ્યા. આગેવાનની કારી ફાવી નહીં. સરપંચ ધુઆંપુઆં થતાં. મોટરસાઇકલ લઈને ભાણવડ પહોંચ્યા અને હીરજીભાઈની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી. પોલીસખાતાએ તરત જ ભાણવડ તાલુકાના અછત રાહતના જવાબદાર અધિકારીઓ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે તપાસ કરવા જણાવ્યું. તાલુકા વિકાસ અધિકારી તો પેલા ભ્રષ્ટ આગેવાનના કરતૂતો જાણતા જ હતા. તેઓએ જામનગરની હીરજીભાઈની ઓફિસમાં સંપર્ક કરીને હીરજીભાઈનો રૅકોર્ડ મેળવ્યો. તેઓની કર્તવ્યપરાયણતાથી પ્રભાવિત થયા. તેઓને બોલાવ્યા અને કહ્યું કે તમે પેલા ભ્રષ્ટ આગેવાન વિરુદ્ધ એક ફરિયાદ કરો ને હું કેસ કરીને એને જેલમાં ધકેલી દઉં, પરંતુ હીરજીભાઈએ સ્વામીશ્રીને યાદ કર્યા અને એમની પ્રેરણા અનુસાર તેઓને વિનંતી કરતાં કહ્યું કે 'કેસ કરવાથી વ્યક્તિમાં પરિવર્તન નહીં થાય. એના કરતાં પી.એસ.આઈ., મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી વગેરે સાથે મળીને તેઓને સમજાવીએ.' બધાએ ભેગા થઈને આગેવાનને સમજાવ્યા અને આગેવાનને પસ્તાવો થયો. સામેથી સમાધાન કર્યું અને તેઓ પણ ભ્રષ્ટાચાર અને વ્યસનોની ચુંગાલમાંથી મુક્ત થયા. આજે પણ આ આગેવાન હીરજીભાઈને મળે ત્યારે અત્યંત આદરપૂર્વક તેઓને નમન કરે છે.
Vachanamrut Gems
Loyã-11:
From Whom Should Scriptures be Heard?
"… Therefore, one should only hear the sacred scriptures from a holy person, but never from an unholy person."
[Loyã-11]