પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૯૭
બોચાસણ, તા. ૨૧-૭-૧૯૭૦
યોગીજી મહારાજ બોચાસણમાં બિરાજતા હતા. પારાયણ ચાલતી હતી. સંતોએ સુંદર હિંડોળો સભામંડપમાં તૈયાર કર્યો હતો. સ્વામીશ્રીને બેસવાનું આસન જે કાયમ સભામંડપમાં ગોઠવેલું તે ઉઠાવી લીધું હતું.
બપોરે આરામ કરી સ્વામીશ્રી સભામાં પધાર્યા, હિંડોળો જોયો. સંતોએ તથા હરિભક્તોએ સ્વામીશ્રીને હિંડોળા ઉપર બિરાજવા વિનંતિ કરી, પણ સ્વામીશ્રી આનાકાની કરવા લાગ્યા. પોતાનું આસન ગોતવા લાગ્યા, પણ ક્યાંય દેખાયું નહિ તેથી સ્તબ્ધ બનીને ઊભા રહ્યા.
જ્યારે બધાએ બહુ આગ્રહ કર્યો ત્યારે પ્રસાદીની હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ મંગાવી પ્રથમ પધરાવી. પછી થોડીવાર માટે હિંડોળે બેઠા, પણ એમના મુખારવિંદ ઉપર નામરજી સૌને દેખાઈ આવતી હતી. હંમેશની એમની પ્રફુલ્લિતતા મુખારવિંદ ઉપરથી વીખરાઈ ગઈ હતી.
પારાયણના યોજકોએ-હરિભક્તોએ સ્વામીશ્રીનું પૂજન કર્યું. પ્રમુખસ્વામીએ બાપાના કંઠમાં ગુલાબનો હાર ધરાવ્યો. ધર્મજના પ્રેમી હરિભક્તોએ આરતી ઉતારી.
આરતીનો છેલ્લો આંટો પૂરો થયો ન થયો ને સ્વામીશ્રી હિંડોળા ઉપરથી પોતાની મેળે જ નીચે ઊતરવા લાગ્યા. છતાં ફોટા પાડવા માટે સૌએ એમને થોડીવાર માટે પરાણે બેસાડી રાખ્યા. પછી તરત નીચે ઊતરવા લાગ્યા. પોતાને હંમેશની બેસવાની પાટ મંગાવી, પણ કોઈ લાવ્યું નહિ, તેથી પોતે બાજુમાં પડેલા સોફા ઉપર બિરાજ્યા. હિંડોળામાં બેસાડવા બધાએ આગ્રહ ઘણો કર્યો.
'તમારે ક્યાં બેસવું છે, શાસ્ત્રીજી મહારાજને બેસાડવા છે ને !' ગોપીનાથ સ્વામી બોલ્યા.
'રાખો, રાખો, તમારું જ્ઞાન તમારી પાસે રાખો,' સ્વામીશ્રીએ જરા અકળાઈને કહ્યું.
પ્રમુખસ્વામીએ પણ જરા આગ્રહ કરી જોયો, ત્યારે સ્વામીશ્રી કહે, 'એકવાર બેસી લીધું, સવાદ લઈ લીધો. હવે શું છે...?' એમ કહી સૌને ના પાડી. પાટ મંગાવી તે ઉપર બિરાજ્યા.
'ફરીથી થોડીવાર બેસીશું.' એમ કહી બધાના આગ્રહને સાંત્વન આપ્યું. જોકે પછી બેઠા જ ન હતા. હિંડોળા, ખાટે ન બેસવાનો મહારાજનો આદેશ, આ ઉંમરે પણ કદાચ એમના મનમાં રમી રહ્યો હશે !!
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-44:
A godly person
“Moreover, I personally feel, ‘If one previously has kept the company of the great Purush or has had the darshan of God, then one will only perceive one’s own flaws but will never perceive flaws in any other devotee of God.’ A person with such characteristics should be known to be godly.”
[Gadhadã II-44]