પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૨૩
મુંબઈ, તા. ૨૫-૮-'૬૭
અશ્લાલીના કિરીટભાઈ જશભાઈ અમેરિકા વધુ અભ્યાસાર્થે જઈ રહ્યા હતા. આશીર્વાદ આપી યોગીજી મહારાજે એમને વિદાય આપી. બીજે દિવસે એમને મૂકવા આવેલા નાથાભાઈ, જશભાઈ વગેરે સ્વામીશ્રીને મળવા આવ્યા. ભક્તો સાથે એકમેક થઈ જવાની સ્વામીશ્રીની કોઈ અલૌકિક રીત હતી અને આવા વિશાળ સત્સંગ સમુદાયમાં પણ દરેક સાથે સ્વામીશ્રી વિશિષ્ટ આત્મીયતા અનુભવતા.
'ભાઈ અમેરિકા પહોંચી ગયા હશે ?' સ્વામીશ્રીએ પૂછ્યું.
'ના, રાત્રે એક વાગે પહોંચશે.'
'અમેરિકા દૂર ખરું ને ?' સ્વામીશ્રી બાલ સહજભાવે બોલ્યા. 'અક્ષરધામ પણ બહુ દૂર છે...' જાણે કોઈ પ્રત્યક્ષ વાત જાહેર કરતા હોય, એવું એમની નિર્દોષ આંખોમાં જણાતું. સ્વામીશ્રી હસી પડ્યા.
'અક્ષરધામ જતાં કેટલી વાર લાગે.' કોઈએ પૂછ્યું.
'સો મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ અને પૃથ્વી સુધી પહોંચતા ઘસાઈને રજ ભેળો રજ થઈ જાય એટલું છેટું છે, પણ આંખના પલકારામાં પહોંચી જઈએ.' સ્વામીશ્રી બોલ્યે જતા હતા. 'અંતર દૃષ્ટિવાળાને અણુ માત્ર છેટે નથી ને બાહ્ય દૃષ્ટિવાળાને મતે લાખો ગાઉ છેટે છે. સારંગપુરના દસમા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે આપણે તો અક્ષરધામમાં જ બેઠા છીએ...'
'આપણે કેફ રાખવો. હિંમત સે હરિ ઢૂંકડા, કાયર સે હરિ દૂર. તેમ આપણે બળમાં રહેવું. કેફ રાખવો.'
'ન ગઈ ગંગા, ગોદાવરી, કાશી. ઘેર બેઠાં મળ્યા અક્ષરવાસી...' એ કીર્તન બોલતાં પોતાની મસ્તીમાં સ્વામીશ્રીએ સૌને મૂકી દીધા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-53:
The scriptural definition of 'delusion'
“The characteristic of delusion as described in the scriptures is as follows: When delusion pervades one’s heart, one simply cannot perceive one’s own flaws. Thus, not being able to perceive one’s own flaws is, in fact, the very definition of delusion.”
[Gadhadã II-53]