પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૮૮
લંડન, તા. ૫-૭-૧૯૭૦
દેશમાં પહોંચવા માટે કઈ રીતે, કઈ સર્વિસમાં જવું એ ચર્ચા સારી ચાલેલી. એક સર્વિસમાં વચ્ચે, પ્રાગ (ચેકોસ્લોવાકિયા) થઈને જવાનું હતું. તેમાં પ્રાગમાં ઇમિગ્રેશનમાં પૂછપરછ તથા સાફસૂફ કરવા સ્ત્રીઓ આવે. એ વાત જાણીને યોગીજી મહારાજ કહે, 'આપણે એમાં જવું જ નથી. સ્ત્રીઓ આવે એમ હોય તો આપણે એ જોઈએ જ નહિ...' પછી મુસાફરીમાં વચ્ચે રાત પણ ન આવે એવું ગોઠવવા જણાવ્યું. સાંજે કે વહેલી સવારે નાહવાનો સમય પ્લેનમાં ન આવે તે તકેદારી રાખવા ખાસ કહ્યું અને કોઈ સ્ત્રી ન આવવી જોઈએ, એ તો ખરું જ.
સ્વામીશ્રીએ કહેલું, 'ભલે ગમે એટલું ખર્ચ થાય, પણ આપણે એ રીતે વ્યવસ્થા કરવી.' લગભગ રૂપિયા સાઈઠ હજાર જેવો ખર્ચ બધી ટિકિટનો થતો હતો, પણ સ્વામીશ્રી કહે, 'ભલે થાય...'
નહિ તો રોજ લંડન મંદિરે સ્વામીશ્રી બાથરૂમમાં જાય તે અંધારું હોય, યુવકો તુરત બાથરૂમની બહાર અને અંદર લાઇટ કરે. પછી સ્વામીશ્રી જેવા બહાર નીકળે તે તુરત કહે, 'બત્તી બંધ કરો.'
જશભાઈ કહે, 'બાપા ! આટલું બધું કેમ ધ્યાન રાખો છો ?'
'આપણું મંદિર થયું. ધ્યાન રાખવું પડે.' સ્વામીશ્રી ધીરેથી કહેતા. આવી તો અનેક નાની બાબતોમાં કાળજી રાખી કરકસર કરતા - કરાવતા, પણ ધર્મ સાચવવાની વાત આવે ત્યાં આંકડાનો હિસાબ માંડતા નહીં.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-55:
I do nothing for my own personal enjoyment
“… In fact, all of My activities are for the sake of the devotees of God; there is not a single activity which I perform for My own personal enjoyment.”
[Gadhadã II-55]