પ્રેરણા પરિમલ
આપણે તો અક્ષરધામના...
આજે સ્વામીશ્રી લંડનથી વિદાય લઈને ન્યૂયોર્ક જવાના હતા. સામે બેઠેલા યુવા કાર્યકર નૈનેશ પટેલે સ્વામીશ્રીને કહ્યું: 'આંખ મીંચી ને જાણે કે વીસ દિવસ પસાર થઈ ગયા એવું થઈ ગયું, ખબર પણ ના પડી - આવું ચાલે !'
નૈનેશનો કહેવાનો ભાવ એવો હતો કે તમારે હજી પણ વધારે રોકાવું જોઈએ.
સ્વામીશ્રી કહે : 'ચાલે જ છે ને ભલા માણસ! ઇન્ડિયાથી અહીં આવ્યા એય આંખ મીંચીને આવી ગયા અને આંખ મીંચીશું અને અમેરિકા પહોંચી જઈશું.'
નૈનેશ કહે : 'તમે તો ગુણાતીત સ્વરૂપ છો. ધારો એટલાં સ્વરૂપ કરી શકો. એક સ્વરૂપ અહીં મૂકતા જાવ ને! લોર્ડ ધોળકિયાએ આપને કહ્યું એટલે તો હવે આપ અહીંના સીટીઝન છો. આ તમારું ઘર કહેવાય. તમારે હવે અહીંથી નીકળવું ના જોઈએ.'
સ્વામીશ્રી સહજ અનાસક્તિના સૂર સાથે કહે : 'ભલા માણસ ! અમે તો જ્યાં જઈએ ત્યાં ઘર જ છે.' પછી એનું વિશેષ વિવરણ કરતા કહે : 'અક્ષરધામ છે એ તો અધો-ઊર્ધ્વ પ્રમાણે રહિત છે, બરાબર ને ! જ્યાં જુઓ ત્યાં અક્ષરધામ છે, તો પછી બીજી વાત જ ક્યાં આવે ? ઝૂંપડાંમાં જઈએ કે મહેલમાં જઈએ, ગમે ત્યાં જઈએ, બધામાં અક્ષરધામ છે, એટલે સંકુચિતતામાં શું કામ પડવું ? આપણે તો ઇન્ટરનેશનલ થઈ ગયા. પછી તો લંડનના ય શું ને બીજાનાં ય શું ? આપણે તો અક્ષરધામના!'
સ્વામીશ્રી જાણે પોતાના દિવ્યત્વની વાત કૃપાએ કરીને કહી રહ્યા હતા.
નૈનેશ કહે : 'બાપા! અક્ષરધામનો અનુભવ એક વખત તો કરાવો.'
સ્વામીશ્રી કહે : 'અનુભવ કરવાની વાત ક્યાં રહી! પોતાને અક્ષરરૂપ મનાય એટલે ધામમાં જ બેઠા છીએ. પછી ક્યાંય આડુંઅવળું જોવાનું કે બીજો કોઈ સંકલ્પ ન રહે.'
સ્વામીશ્રી જાણે અત્યારે વિદાયની છેલ્લી શીખ રૂપે નખશિખ આધ્યાત્મિકતાની પાત્રતા લાવવા માટેની વાતો કરી રહ્યા હતા.
નૈનેશ કહે : 'અર્જુનને જેમ વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે એણે કહ્યું કે આપના જેવા છે એવાં દર્શન મને કરાવો, વિરાટ સ્વરૂપ જોવાની મારી તાકાત નથી. એમ અમારી પણ તાકાત નથી.'
સ્વામીશ્રી કહે : 'એમાં જ સુખ આવે. જો ઝળહળાટ બતાવીએ તો ઝળહળાટમાં તો પડે ગુલાંટ ખાઈને, અર્જુન જેમ થથરી ગયા એમ થાય. એટલે જ શ્રીજીમહારાજ મનુષ્યરૂપે આવે ત્યારે સુખ આવે છે. આપણી સાથે બેસે, ઊઠે, બોલે, ચાલે. યોગીજી મહારાજ એ રીતે કરતા તો આપણને સુખ આવતું. આપણા જેવા થઈને રહે તો આપણને સુવાણ થાય, બાકી પાંચ હજાર વૉટનો પાવર (પ્રકાશ) નીકળતો હોય તો શું સુખ આવે ? સામું જોવાય જ નહીં તો પાસે જવાય જ કેમ ?! જેમ નરસિંહ અવતાર ધર્યો તો પ્રહ્લાદ સિવાય કોણ એની પાસે જઈ શક્યું ? એમ ભગવાન અને સંત આપણા જેવા થાય છે ત્યારે જ આપણને સુખ આવે છે.'
સ્વામીશ્રી સમક્ષ થાળ પડ્યો હતો છતાં સ્વામીશ્રી અત્યારે કથા કરવામાં એટલા મશગુલ થઈ ગયા હતા કે પોતે શું ખાઈ રહ્યા હતા એનો એમને સહેજ પણ ખ્યાલ ન રહ્યો. ભગવદ્ કથાવાર્તામાં સ્વામીશ્રીની આ આસક્તિ સૌને સ્પર્શી ગઈ.
(તા. ૧૪-૫-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Gadhadã III-13:
Shriji Maharaj's Intense Love for God and His Devotees
“In addition, the profound affection that I have for God and His devotees is so strong that even kãl, karma and mãyã are incapable of eradicating that affection. In fact, even if My own mind attempted to eradicate it, it would definitely not be eradicated from My heart. Such is the intense love I have for God and His devotees.”
[Gadhadã III-13]